ENGLISH
ગુજરાતમાં વસતા મુસ્લિમોમાં સિપાઈ જ્ઞાતિનો સમાવેશ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC & OBC) માં સમાવેશ થાય છે. સિપાઈ સમાજનો ૧૦ સપ્ટેમ્બર ઈ. સ. ૧૯૯૩ માં પ્રસિદ્ધ થયેલા અધર બેક્વર્ડ કલાસ (OBC) ના ગેઝેટમાં સમાવવામાં આવ્યા છે. પરંતુ આ ગેઝેટમાં ટાઈપોગ્રાફિકલ મિસ્ટેકને કારણે અનુક્રમ નંબર ૬૫ પર સિપાઈ, પટ્ટણી જમાત અને તુર્ક જમાત એવુ લખવાને બદલે ભુલથી સિપાઈપથી જમાત અને તુર્ક જમાત એવું લખાઈ ગયુ હતું. આવી ભુલ હોવા છતાં ઈ. સ. ૧૯૯૩ થી વર્ષ ૨૦૧૪ ના શરૂઆત સુધી સિપાઈ જ્ઞાતિને ઓબીસીનું અંગ્રેજ સર્ટીફિકેટ (અંગ્રેજી ક્રિમીલેયર સર્ટીફિકેટ) સિપાઈ-મુસ્લિમ નામ જોગથી મળતુ હતું. પરંતુ ત્યાર બાદ ૨૦૧૪ ની શરૂઆત થી જ સિપાઈ જ્ઞાતિને અમુક શહેરોમાં અંગ્રેજી ઓબીસીનું સર્ટીફિકેટ આપવાનું બંધ થયુ અથવા જયાં આપતા ત્યાં સિપાઈ પથી જમાત નામથી આપતા હતા. જેના કારણે કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજના તથા શિક્ષણ-નોકરીમાં મળતા ૨૭% અનામતનો લાભ મળતા બંધ થયા હતા.
સમગ્ર સિપાઈ સમાજને થતાં આ અન્યાય સામે સિપાઈ સમાજના લોકોએ આ પ્રશ્ન ના નિરાકરણ માટે ગુજરાત સિપાઈ સમાજના તે સમયના આગેવાનો ને વાકેફ કર્યા, પરંતુ તેઓ આ પ્રશ્નો જોઈએ તેવા ગંભીર ન હતા. ત્યારે સૈારાષ્ટ્રના વિવિધ ગામના યુવાનો ટેલીફોનિક સંપર્કમાં આવ્યા અને આ યુવાનોએ સંગઠિત થવા માટે સોશ્યલ મિડિયાનો સહારો લીધો અને તા. ૧૯-૧૨-૨૦૧૪ થી “સિપાઈ યંગ ગૃપ” નામનું વોટસએપ ગૃપ બનાવી સૈારાષ્ટ્રના અનેક યુવાનો સમાજના આ સંગઠનની સહિયારી ઝુંબેશમાં જોડાયા.
સોશ્યલ મિડિયામાં ઓબીસીનાં સર્ટીફિકેટ વિશે ચર્ચા વિચારણા કરી સિપાઈ સમાજ નાં શિક્ષિત યુવાનોએ આ મુશ્કેલીમાંથી સમાજને બહાર લાવવા સૈારાષ્ટ્રના સિપાઈ સમાજનાં આગેવાનોની મુલાકાત કરી. આ માટે અખિલ ગુજરાત સિપાઈ સમાજનાં સ્થાપક અને સમાજના શુભચિંતક જનાબ ફાજલભાઈ ચૌહાણ અને મર્હુમ જનાબ એ.કે. પઠાણ સાહેબ નો સહારો લઈ સિપાઈ યંગ ગૃપની ટીમે સૌરાષ્ટ્રના મોટા ભાગનાં આગેવાનોનો ટેલીફોનિક સંપર્ક કર્યો અને પડતર પ્રશ્નો વિશે માર્ગદર્શન મેળવ્યું. આ સાથે તા.૨૩-૨-૨૦૧૫ થી સિપાઈ યંગ ગૃપે સૈારાષ્ટ્રનાં અલગ અલગ ગામ-શહેરોમાં પ્રવાસની શરૂઆત કરી. તા.૫-૪-૨૦૧૫ સુધીમાં આ ગૃપે સૈારાષ્ટ્રનાં નાના-મોટા ૪૦ થી વધુ ગામોમાં જઈ સિપાઈ સમાજના આગેવાનો, શિક્ષિત યુવાનો તથા વડીલોની મુલાકાત લઈ તેમને ઓબીસી ના પ્રશ્ન અંગે માહિતગાર કર્યા. સમગ્ર સૈારાષ્ટ્રમાંથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો જે સિપાઈ યંગ ગ્રુપને ઉત્સાહ પુરો પાડી સમાજને વિકાસાત્મક દિશા તરફ લઈ જવા માટે પુરતો હતો.
સિપાઈ યંગ ગૃપ દ્વારા જે ગામમાં સિપાઈ સમાજની મુલાકાત લેતા તે ગામની સિપાઈ જમાતના નામ, એડ્રેસ, સંપર્ક નંબર, જમાતની સભ્ય સંખ્યા, જમાતની પ્રવૃતિઓ અને જમાતની ઉપલબ્ધીઓ જેવી ઉપયોગી માહિતી એકત્રીત કરતા તા. ૧૨-૪-૨૦૧૫ ના રોજ રાજકોટ મુકામે ગામડીયા સિપાઈ જમાતાખાનામાં ઓબીસીના નિરાકરણ અંગે સૈારાષ્ટ્રની સિપાઈ જમાતોની પ્રથમ મિટિગ સિપાઈ યંગ ગૃપ દ્વારા બોલાવવામાં આવી. આ મિટિંગમાં ઓબીસીના પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નિષ્કર્ષ રૂપે સમાજની એક યુવા ટીમ દ્વારા દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત લઈ સમાજ કલ્યાણ વિભાગમાં ૨જુઆત કરવાનું નકકી કરાયું. સમાજના આગેવાનો અને જમાતો દ્વારા દિલ્હી જવા માટેનું ફંડ એકત્ર કરી આપવામાં આવ્યું.
સિપાઈ યંગ ગૃપની ટીમે તા.૨૭-૦૪-૨૦૧૫ અને તા.૨૮-૦૪-૨૦૧૫ ના રોજ દિલ્હી જઈ સમાજ કલ્યાણ ખાતામાં (Ministry of Social Justice & Empowerment) રજુઆત કરી. ત્યાર બાદ સિપાઈ યંગ ગૃપની ટીમે દિલ્હીમાં સમાજ કલ્યાણ ખાતાનાં સતત સંપર્કમાં રહી મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના અનુસંધાને સપ્ટેમ્બર ૨૦૧૫ માં આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયુ હતું.
સિપાઈ યંગ ગૃપ દ્વારા જૂન ૨૦૧૫માં ટાઈટેનીક ન્યુઝ પેપરમાં પોતાનો પ્રથમ અંક પ્રસિધ્ધ કર્યો હતો. જેને ખૂબ સારો પ્રતિસાદ મળતાં ઓગસ્ટ ૨૦૧૫ થી જુના “સિપાહી સમાજ” ન્યુઝ પેપરને ફરી રજીસ્ટર્ડ કરાવીને માસિક અંક પ્રસિધ્ધ કરવાનું કાર્ય હાથ ધરાયું.
સિપાઈ યંગ ગૃપના આગવા કાર્યો
· “સિપાહી સમાજ” માસિક અખબારનું સંચાલન.
· સિપાઈ સમાજના સંમેલન.
· અલગ-અલગ શહેરો તથા ગામોમાં સમસ્ત મુસ્લિમ સમાજ માટે કારકિર્દી માર્ગદર્શન ના કાર્યક્રમોનું આયોજન.
· સિપાઈ યંગ ગુપ માંથી “સિપાઈ સમાજ ટ્રસ્ટ” નામની ૨જીસ્ટર્ડ સંસ્થાની શરૂઆત.
સિપાઈ સમાજ ટ્રસ્ટના કાર્યો
· સિપાઈ સમાજ માટે જકાત તથા ઈમદાદ સ્કોલરશીપની શરૂઆત કરી તા.૩૦-૦૧-૨૦૧૮ સુધીમાં કુલ ૧૦૯ વિધાર્થીઓને ૪,૬૫,000/- રૂપિયા સ્કોલરશીપ પેટે આપવામાં આવ્યા.
· જીવનસાથી પરિચય સમારોહનું આયોજન.
· એસવાયજી મેરેજ બ્યુરોનુ સંચાલન.
· બ્લડ ડોનેશન તથા જનરલ મેડિકલ કેમ્પનું આયોજન.
· ઉચ્ચ અભ્યાસ કરતા વિધાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવક-યુવતી ઓ માટે “સન્માન સમારોહ” નું આયોજન.
સિપાઈ સમાજ ટ્રસ્ટના આગામી કાર્યો
· સમાજના વિધાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવી.
· સ્કોલરશીપની રકમમાં વધારો કરવો.
· સમાજના યતીમ બાળકો માટે સ્કોલરશીપની યોજના શરૂ કરવી.
સમગ્ર ગુજરાતની જમાતો સાથે મળી મેડિકલ કેમ્પો, બ્લડ ડોનેશન કેમ્પો, શૈક્ષણિક સેમિનાર અને કારકિર્દી માર્ગદર્શનનાં કાર્યક્રમો યોજવા.